Tuesday, May 30, 2023

આહિર દેવાયત બોદરની ઐતિહાસિક વાર્તા

 આહિર દેવાયત બોદર વિશે વર્તમાન સમયમાં ઘણી બધી વાર્તાઓ ઐતિહાસિક તેમજ કાલ્પનિક વિષયવસ્તુ મૂજબ પ્રસિદ્ધ છે. આ બધી વાતોમાં કદાચ થોડું ઘણું અંતર હોઈ શકે પણ સનાતન સત્ય તો એ છે કે આહીર કુળમાં બોદર શાખમાં દેવાયત જેવા ભડવીર પાક્યા છે. જેમણે રાજના રખોપા માટે પોતાના દીકરાના બલિદાન આપી અને રાજને રક્ષણ આપ્યું છે. જૂનાગઢના પ્રસિદ્ધ સાહિત્યકાર દિવાન અમરજી નાણાવટીના પુત્ર દિવાન રણછોડજી પોતાના ગ્રંથ 'તારીખે સોરઠ વ હાલાર' ના પ્રકરણ બીજાની અંદર જુનાગઢ પ્રદેશના રાજાઓની વાત કરે છે. જેમાં સૌપ્રથમ શરૂઆત ચુડાસમા વંશના પ્રતાપી રાજાઓથી થાય છે. દિવાન રણછોડજી અમરજીએ ફારસી ભાષામાં આ ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથનું ગુજરાતીમાં સંશોધન અને ભાષાંતર જૂનાગઢના જ પ્રસિદ્ધ ઇતિહાસકાર શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈએ કરેલ છે. તેમના આ સંશોધન ગ્રંથની અંદર પેજ નંબર ૪૬ થી ૪૯ સુધી આવતી દેવાયત બોદરની વાત અક્ષર નીચે રજૂ કરી છે જે ઇતિહાસ વાચકોને જાણવી ખૂબ ગમશે.


એકવાર ગુજરાતના રાજાનો સંઘ તેના પાટનગર પીરનપટ્ટણથી શ્રી ગિરનારની યાત્રાએ અને દામોદર કુંડમાં સ્નાન કરવા આવ્યો દુર્ભાગ્ય આ સંઘમાં રાજા સિદ્ધરાયની સૂર્ય જેવી પ્રકાશિત અને ચંદ્ર જેવી સુંદર પુત્રી પણ હતી. તેને જોઈને રાહ દયાસની બુદ્ધિ બગડી અને તેણે વગર વિચારે અધીર થઈને તે કુંવારીને મેળવવા ધાર્યું. સંઘને જે કર ભરવાનો હતો તેના અવજી તેણે આ કુંવરીને તેને આપવા આજ્ઞા કરી. સંઘના સેનાપતિએ જ્યારે આ ઉપાધિમાંથી મુક્ત થવા યુક્તિ સિવાય અન્ય કોઈ વિકલ્પ ન જોયો ત્યારે તેણે એવો પ્રસ્તાવ કર્યો કે અમે અમારા પાટનગર પીરનપટ્ટણ જઈ ત્યાંથી રાજરીત પ્રમાણે ડોળો લઈને લગ્ન કરવા પાછા આવશું. બુદ્ધિપૂર્વક કપટ ભરેલી આ યુક્તિ સફળ થઈ અને સંઘ પાછો ગયો.


જ્યારે સંઘ સ્વસ્થાને પહોંચ્યો ત્યારે રાજા સિધદ્રાયે આ વાત સાંભળી અને તેણે જૂનાગઢનો કિલ્લો જીતી લેવાની અને ગિરનારની મજા માણવાની મનમાં ઈચ્છા થઈ તેણે રૂપમાં અને કદમાં સરખી એવી એક દાસીને સુશોભિત વસ્ત્રો પહેરાવી શણગારેલા માફામાં બેસાડી અને કેટલાક સિંહ જેવા સુરવીરોને સ્ત્રીઓનો પોશાક પરિધાન કરાવી તેની સાથે રાખ્યા અને બીજા પાંચસો રથો દહેજનો સામાન રાખવાને બહાને લડવૈયાઓ માટે જોડાવીયા. દરેક રથમાં ચાર ચાર વીરપુરુષને બેસાડ્યા કેટલા એક બહાદર સૈનિકોને વોળાવિયા તરીકે સાથે મોકલ્યા. કેટલીક ટુકડીઓ તેણે આગળથી મોકલી કેહરાવ્યું કે ડોળો અમુક સમયે જુનાગઢ પહોંચશે.


દયાસને આ ડોળામાં લગ્નને બદલે બીજો જ પ્રસંગ બનશે તેનો જરા પણ શક ન આવતા તે નિશ્ચિત થઈ આનંદવિભોર બની ગયો. તેણે શહેરને શણગાર્યું અને તેના ધનકોષના દ્વારા ગરીબોને ખોળા ભરીને દાન આપવા માટે ઉઘાડા મૂકી દીધા અને પોતે વરરાજા બનીને ડોળા સામો તેડવા ગયો. જે રથમાં તેની વાગ્દત્તા બનીને દાસી બેઠી હતી તે રથમાં તે ચડી બેઠો.


જ્યારે રથો નગરમાં પ્રવેશ્યા ત્યારે એક દરવાન કે જે આંખે અંધ હતો છતાં તેના અંતરની આંખોથી જોતો હતો તેણે સ્ત્રીઓને લઈ જતા રથના ફરતા પૈડાનો ભારે અવાજ સાંભળીને મોટા સાદે રાડ પાડીને કહ્યું કે, "આ માર્ગે પસાર થતા રથોમાં આભૂષણોથી અલંકૃત પુષ્પ જેવી સુકોમળ અબળાઓ નહીં પણ પોલાદી શરીરવાળા પુરુષોનો ભાર છે." જ્યારે સૈનિકોને કાને આ શબ્દો પડ્યા ત્યારે તેમણે જાણ્યું કે તેમનો દગો જાહેર થઈ ગયો છે તેથી આ બહાદરો રથોમાંથી નીચે કૂદી પડ્યા અને કહેવા લાગ્યા કે "ઓ વીરો સ્ત્રીઓનો વેશ ઉતારી નાખો અને બતાવી આપો કે અમે અબળાઓ નથી પણ અસી ધારણ કરનારા મર્દો છીએ." વરરાજા દયાસ પાસે પાણી વગરની શોભાની તલવાર હતી તેનાથી જ તેને નાહક કાપી નાખ્યો અને વરઘોડામાં આનંદના કોલાહલને બદલે યુદ્ધ અને સંહારના ઘોરનાદ થયા. આક્રમકોએ કિલ્લો સ્વાધીન કર્યો.


આ ભયંકર હત્યાકાંડ માંથી એક વૃદ્ધાદસી,બાલ્યવયના કુંવર નવઘણને લઈ ભાગી છુટી અને કોડીનાર પરગણાના આલીદર (પ્રચલિત લોક કથા પ્રમાણે દેવાયત બોડીદર નો હતો તેમ તે બોદર શાખનો હતો તેથી ગામ બોડીદર કહેવાયું આ ગામ આલીદર થી બે ત્રણ માઈલ દૂર છે.) ગામે પહોંચી તેને તે ગામના દેવાયત બોદર નામના મુખીને સોંપી દીધો. આ પ્રસંગને કેટલીએ રાતો અને કેટલાય દિવસો વીતી ગયા પછી કોઈ વિક્ષેપ પ્રિય બાતમીદારે એ સમયના રાજના અધિકારીને આ ગુપ્ત વાતની માહિતી આપી દેતાં એ જુલમીએ શકનો તપાસ કરવા ત્યાં પોતાના ગુપ્તચરોને મોકલ્યા અને તે પછી દુષ્ટ સેના નાયકોને જુનાગઢ થી રવાના કર્યા. ઈશ્વર વિમુખ એવા આ માણસોએ દેવાયત આહીરને અણછાજતી ભાષામાં ધમકી આપી, કુંવર નવઘણને સોંપી દેવા તેને આજ્ઞા કરી. શત્રુઓને પોતાના આશરે આવેલા ને સોંપવાનું કાર્ય હિન્દુ ધર્મથી વિરુદ્ધનું ગણાય છે તેથી તેણે નવઘણની અવજી તેના પોતાના પુત્રને તેને હવાલે કર્યો અને તે જુલ્મગારોએ તેનું માથું કાપી લીધું ત્યારે દેવાયતે કહ્યું કે,

મારા તમોને બીક નથી પણ પ્રભુનો ડર રાખજો. (આ પંક્તિ ફીરદુસીએ શાહનામા અંતે લખેલી હુજાની છે.)


આમ થયા પછી પણ વિરોધીઓએ અધિકારીઓને બાતમી આપી કે જે બાળકનો ઘાત કરવામાં આવ્યો તે નવઘણ ન હતો તેથી અધિકારીઓએ નવઘણને રજૂ કરવા દેવાયતને આજ્ઞા કરતા તેણે બીજા પુત્રને સોંપ્યો તેને પણ તેઓએ લોહીમાં રગદોળ્યો. એ પ્રમાણે દેવાયતે એક પછી એક એમ તેના આઠ પુત્રોને આ ઘાતકોને સોંપ્યા અને તેઓએ તેમને તલવારની ધાર નીચે કાઢ્યા આમ દેવાયતને અમર ખ્યાતિ પ્રાપ્ત થઈ.


શુભ કૃત્યથી કિર્તિ મળી (જેને) થઈ ગયો તે નર અમર

પૃથ્વી ઉપર રહે છે પ્રકાશિત જેમ અજરામર કમર(કમર એટલે ચંદ્ર)

તે પછી સર્વ શક્તિમાન, સર્વસત્તાધિશ અને સદા કૃપાળુ સર્વેશ્વરની એવી ઈચ્છા થઈ કે રાજા નવઘણનો ભાગ્ય સૂર્ય તેને પ્રગતિ અને વિજયો આપતો પૃથ્વી ઉપર તપે અને તેના રાજની પુષ્પવાટિકાને સદૈવ ફુલતી, ફાલતી, મહેકતી અને વિકસતી રાખે અને તેના હાથે અંતરને આનંદ આપે એવા સિંધના હૃદયંગમ પ્રદેશમાંથી અનિચ્છનીય તત્વોને ઝેર કરી અપરાધીઓને દંડ આપી યશ મેળવે - દેવી આજ્ઞાથી ભાગ્યાનુકૂળ સૂર્ય ઉદિત થયો. રાજાઓના ક્રૂર અને નિર્દય પ્રયાસોમાંથી તેજ કારણે તેની રક્ષા થઈ હતી.


આ વાતનું સમર્થન એ છે કે દેવાયતને પરી જેવી સુંદર પુત્રી હતી. તે તથા કુવર નવઘણ સમવયસ્ક હતા અને સાથે ઉજરેલા અને સાથે રમી મોટાં થયેલા. તે બંને વચ્ચે ભાઈ બહેન જેવી પ્રીતિ હતી. આ પુત્રી કે જેનું નામ જાસલ હતું તે લગ્ન વયમાં આવતા દેવાયતે મોટા પાયા ઉપર ધામધૂમ કરી તેના લગ્ન આદર્યા પરંતુ તેના પુત્રોનો વધ કરવામાં આવ્યો હતો તેનું વેર લેવાનો વિચાર તેના હૃદયને વ્યથિત કરી રહ્યો હતો તેથી તેણે વિશાળ સંખ્યા ધરાવતી તેની આહિર જ્ઞાતિને પોતાને ત્યાં આમંત્રી તેઓની વચમાં વાત મૂકી કે તેના પુત્રોના વિનાકારણ થયેલા ઘાતના બદલા માટે શું કરવું યોગ્ય છે. આહિરોએ વિચાર કરી એવો અભિપ્રાય આપ્યો કે પિતા પાસેથી પુત્રો અને પુત્ર પાસેથી જે શત્રુઓએ પિતાને છીનવી લીધા તેનો બદલો તે જ પ્રમાણે ખૂનથી લેવો.


આ નિર્ણય લઈ દેવાયત જુનાગઢ ગયો અને રાજા જયસિંહના નાયબને અપાર વિવેક કરી તેના તમામ અમીરો સાથે આલીદર ગામે મહેમાન બનાવી તેડી લાવ્યો. તેમને આ કહેવતની જાણ ન હતી કે 

રાખો વિશ્વાસ શત્રુના વિનય પર એ નરી છે મુર્ખતા 

જે ચરણ ધોતાં રોજ મોજાં તેજ ભીંતને પાડતાં.


સર્વ આમંત્રિતો અને દેવાયતે ભોજન લેવા પંગતમાં બેસાડ્યા કે તરતજ નવઘણ અને આહીરો તેમના ઉપર તૂટી પડ્યા અને પ્રથમ ગ્રાસે જ તેમનું પોતાનું માસ કાગડા અને ગીધડાંઓનું ભક્ષ્ય થઈ ગયું. તે પછી દેવાયતે શત્રુઓને આખા પ્રદેશમાંથી શોધી શોધી સાફ કર્યા અને સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરી રાવ નવઘણને જુનાગઢ લઈ આવી વિક્રમ સવંત ૮૭૨ માં સિંહાસને બેસાડ્યો.(તારીખે સોરઠ વ હાલારના અંગ્રેજી ભાષાંતરમાં વિક્રમ સવંત ૮૭૪ છે, ફારસી પ્રતોમાં ૮૭૨ છે. જ્યારે સંશોધિત ઇતિહાસ અનુસાર વિક્રમ સવંત ૧૦૮૧, ઇસવીસન ૧૦૨૫ માં રાહ નવઘણ ગાદીએ બેઠો)


Friday, March 17, 2023

કોરોકટાક

 'કોરોકટાક છું'ગઝલનો આસ્વાદ.

પ્રસ્તાવના:-

જુનાગઢી ચારણત્વનો વૈભવ એટલે સાહિત્ય જગતનું ખમીર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, ગીર કેસરીની ત્રાડો જેવું તેજ રાજભા ગઢવી, 'કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યો ' થી દરેકનાં કાળજાં પીગળાવી નાખનાર પદ્મશ્રી કવિ દાદ અને ગઝલના માર્ગે નીકળેલો નવ યુવાન મિલિંદ ગઢવી.


જુનાગઢ ગઝલ પરંપરાનો સીધી લીટીનો વારસદાર એટલે મિલિંદ ગઢવી. મનોજ ખંડેરીયા, રાજેન્દ્ર શુકલ અને શ્યામ સાધુ પછીનો ચમકતો તારાક એટલે મિલિંદ ગઢવી. મિલિન્દ ગઢવીએ પોતાની ગઝલ રચનામાં પોતાની નોખી કેડી કંડારી છે. અભ્યાસે MBA અને બેંકમાં નોકરી એટલે હિસાબી માણસ, આમ જોઈએ તો સાચા અર્થમાં હિસાબ-કિતાબનો માણસ, પણ વળગણે કવિ અને ગઝલકાર. ગુજરાતી, હિન્દી કે પછી ઉર્દુ હોય જેની કલમ અટકતી નથી તેવો સમર્થ સર્જક એટલે મિલન ગઢવી.


અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ રાજકોટે પોતાનું ક્ષેત્ર વિસ્તારી અને સમાચારની સાથે સાથે પ્રકાશનમાં પણ પગરણ કર્યું અને તેમને મિલિંદનો સાથ મળ્યો. સફરની શરૂઆત થઈ અને આપણે સૌને ૨૦૧૯ ના મે મહિનામાં મળી 'રાઈજાઈ'. 


'રાઈજાઈ' માં ૫૧ ગઝલો આવેલી છે. દરેક ગઝલનું વિષય વૈવિધ્ય હ્દય સ્પર્શી જાય તેવું છે. દરેક ગઝલમાં મિલિન્દનો મિજાજ જુદો જ અનુભવાય છે.


-: ગઝલનો આસ્વાદ :-


બારીની જેમ બંધ છું, જડબેસલાક છું, 

પલળી રહેલ ગામમાં કોરોકટાક છું.


કુદરતનું ક્રૂર મૌન છું, કડવી મજાક છું,

મશહૂર છું ને નામનો લાગેલો થાક છું.


રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી,

ઊભો છું લેનમાં અને જૂનો ઘરાક છું.


મારી મનુષ્યતા કોઈ લોલકનો લય હશે,

હું છું ગરીબનો સમય, વસમા કલાક છું.


નરસિંહનો હું વંશ છું, ખુસરોનો અંશ છું,

ગુજરાતીમાં ‘મરીઝ’, ઉર્દૂમાં ‘ફિરાક’ છું.


શેર - ૧

બારીની જેમ બંધ છું, જડબેસલાક છું, 

પલળી રહેલ ગામમાં કોરોકટાક છું.


ગઝલનો ઉઘાડ સંવેદના સભર છે. મત્લાના શેરમાં ગઝલ સૂર્યોદય સમાન છે. બારી જેવી અકળતામાં પણ ખુલ્લા પણું છુપાયેલો છે. જો બારી ખુલી જાય તો બહારનો પ્રકાશ અને બહારની તરોતાજા હવા મન પ્રફૂલ્લીતૌ કરી મૂકે, પણ બે બારીએ પરસ્પર આલિંગનમાં રહીને જડબેસલાક બની રહેવું પડે છે. પલળી રહેલા ગામમાં પણ મિલિન્દ કોરોકટાક છે. જાણે વરસતા વરસાદમાં ઉભેલો માણસ 'ફ્લેશ બેક' વિહરતો હોય તેમ રહે છે સૌની સાથે પણ છતાં એકલી ફકીરી માણે છે. બધા જ શેરમાં રદીફ 'છું'  ટૂંકું ટચ પણ ચોટદાર છે અને પોતાના અસ્તિત્વની સતત હાજરી પુરાવતુ રહે છે.


શેર - ૨

કુદરતનું ક્રૂર મૌન છું, કડવી મજાક છું,

મશહૂર છું ને નામનો લાગેલો થાક છું.


કૂદરતના અનેક સ્વરૂપો છે, પણ મિલિન્દ તો જાણે ક્રૂર મૌન અને મજાકની મિઠાશથી દુર કડવાશ લઈ જીવે છે. એ જગ પ્રસિદ્ધ છે, છતાં એના નામનો જ ભાર લઈ ફરતો હોય તેમ 'નામનો લાગેલો થાક છું.' કહી સફળતા પછીનો થાક અને એકલતા તરફ પ્રયાણ સુચવે છે.


શેર - ૩

રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી,

ઊભો છું લેનમાં અને જૂનો ઘરાક છું.


ખોરાકનો અભાવ શરીરને કૃશ બનાવી દે છે આથી ખોરાક શરીર માટે જરૂરી છે. તેમ વિરહી જનો માટે ગમતાની યાદ રાશનનું કામ કરે છે અને રાશન ખૂટી ગયા પછી યાદ રૂપી રાશન લેવાનની લેનમાં ઉભા રહી એક જલક માટે રાહ જોતા ઘરાક જેવી વ્યથા મિલિન્દ અહીં ઠાલવે છે.


શેર - ૪

મારી મનુષ્યતા કોઈ લોલકનો લય હશે,

હું છું ગરીબનો સમય, વસમા કલાક છું.


આ શેરમાં મિલિન્દ ગરીબના સમયની યાદ કરી વસમા સમયના એક એક ક્ષણમાં પડતી કઠણાઈઓનું તાદૃશ વર્ણન કરે છે. એક ક્ષણ માટે ચૂકી ગયેલ માણસ માટે જેમ એક ક્ષણની કિંમત હોય છે તેમ પોતાનામાં રહેલ લોલક જાણે ગરીબની પ્રત્યેક પળને સતત જીવતી રાખે છે.


શેર - ૫

નરસિંહનો હું વંશ છું, ખુસરોનો અંશ છું,

ગુજરાતીમાં ‘મરીઝ’, ઉર્દૂમાં ‘ફિરાક’ છું.


અને છેલ્લે શેર એ મકતામાં મિલિંદ કરુણતાને પાછળ છોડી, ખુમારી થી જૂનાગઢની ધરતીને, ગઝલોને, ગુજરાતી-ઉર્દુમાં તેના સામર્થ્યને જણાવે છે. જુનાગઢ એટલે નરસિંહ અને નરસિંહ એટલે જુનાગઢ આવી ભૂમિ અને આવા ભક્તનો વંશ પોતે છે. ગઝલોને તો તે હાથમાં રમાડે છે જાણે ખુશરોનો અંશ કેમ ન હોય!! ગુજરાતી ગઝલોમાં 'મરીઝ' સમાન અને ઉર્દુમાં 'ફિરાક' સમાન ઉચ્ચ કોટીનો એ સર્જક છે.


ઉપસંહાર:-

 'કોરોકટાક છું' ગઝલમાં મિલિન્દ માનવીય સંવેદનાઓને ખૂબ ઊંડાણથી સ્પર્શે છે, બધામાં રહી અને બધાથી અલિપ્ત રહેનારના ભાવને ખૂબ સૂક્ષ્મ રીતે વર્ણવે છે. પહેલા બે શેરનો વિષયવસ્તુ બિલકુલ સમાન છે. પણ ત્રીજા અને ચોથા શેરમાં કરૂણરસ પ્રબળ બની ગયો હોય તેવું લાગે છે. અને છેલ્લા મક્તામાં તેની એ જ ખુમારી આવી જાય છે. જાણે આળસ મરળી અને ઊભો થયેલો કેસરી સિંહ પોતાની મસ્તીમાં ચાલી નીકળે એમ મિલિંદ પોતે પણ નરસિંહ, ખુશરો, મરીઝ અને ફિરાકને યાદ કરતા બધુ જ તત્વ લઈ ગઝલ પૂર્ણ કરે છે.


સંદર્ભ:-

૧) રાઈજાઈ, -મિલિન્દ ગઢવી, પ્રકાશક:- અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ

૨)ગઝલ: રૂપ અને રંગ, - રઈશ મનીઆર,  અરૂણોદય પ્રકાશન.


- મુકેશ બારીયા

૧૭-૩-૨૦૨૩

Monday, February 27, 2023

ભાઈ ભાઈ

 કલા એ ઈશ્વરની દેણ છે, પ્રયત્ને કદાચ પંડિત થવાય પણ સિદ્ધહસ્ત કવિ તો જન્મે છે. બાકી વાણિજ્યનો બંદો ગઝલનો સુરમાં કેવી રીતે બની શકે??

'રાઈજાઈ' હાથમાં આવી અને નવું નામકરણ કરી નાખ્યું 'ભાઈભાઈ'. વીસ મિનિટ હર્ષોલ્લાસ અને અદમ્ય આનંદની અનુભૂતિ એટલે મિલિન્દ ગઢવીની 'રાઈજાઈ'. વાંચવામાં વીસ મિનિટ લાગે પણ સમજવામાં સઘળું આયખું ખૂટી પડે.

શરૂઆતે પૂજ્ય બાપુનો રાજીપો અને આશીર્વાદ, અર્પણ અને સંભારણાંનાં ઓવારણાં પછી રાઈજાઈની અનુક્રમણિકા. જેમાં યશવંત લાંબા, ઉર્વીશ વસાવડા અને સંજુ વાળાની શબદ સુગંધ. અને કવિના નિવેદથી ગઝલોની સફર શરૂ થાય છે.

૫૧ ગઝલ અને ૫૧ છુટ્ટા શેર આસ્વાદની ઉજાણી સમજો. 

કેટલાક શેરોની રસાનુભૂતિ લઈએ અને ગઝલામૃતથી અમરત્વ પામીએ... ચાલો માણીએ 

- બારીની જેમ બંધ છું, જડબેસલાક છું,

   પલળી રહેલ ગામમાં કોરોકટાક છું.

- નરસિંહનો હું વંશ છું, ખુસરોનો અંશ છું,

    ગુજરાતીમાં 'મરીઝ', ઉર્દૂમાં 'ફિરાક' છું.

- રસ્તા ઉપર કાળી-ધોળી ભાત 'ને લોકો ચાલે છે,

   ઝીબ્રા-ક્રોસિંગ જેવી થઈ ગઈ જાત 'ને લોકો ચાલે છે.

 કેમ સડકની સાવ વચોવચ એક કિરણ લૂંટાઈ ગયું? અજવાળાને લાગ્યો છે આઘાત 'ને લોકો ચાલે છે.

- મૌનની આંખમાં જે પાણી છે,

   મારે મન એ જ સંતવાણી છે.

  તું મને શક્ય હોય તો માણી લે,

  મારૂં જીવન સતત ઉજાણી છે.

 તારા હાથોના રોટલા વૈભવ,

 બાકી દુનિયા તો ધૂળધાણી છે.

 જેને મળિયે હુવાય્ણથી મળિયે,

 આપણી એ જ તો કમાણી છે.

- ધરી હાથ વરમાળા, ઉદાસી ફરી રહી,

   છડેચોક માણસને વરી જાય,શક્ય છે.

- લખ્યું છે બ્રેઈલમાં મારૂં મરણ,એની ઉદાસી છે,

  ઉપરથી હાથ આપ્યા છે અભણ, એની ઉદાસી છે.

- ક્યાં કદી ચકલું ય ફરક્યું? રાખી દોને!

  આ નગરનું નામ 'કર્ફ્યુ' રાખી દોને!

- આજ પણ પ્લેટફોર્મ સમજીને મને,

   ટ્રેન ચાલી ગઈ મને લીધા વગર!

- દિવસોનો કચરો બાળીને રાતે અજવાળાં રાખ્યાં છે,

   તારો ખાલીપો સાચવવા સુઘરીના માળા રાખ્યા છે.

   થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે,

   તેથી તો રેલ ના પાટા સમ સગપણમાં ગાળા રાખ્યા છે.

- વમળના કેસમાં દોષી કરાર, oh goodness!

   મિલિન્દ એટલે હોડીની હાર, oh goodness!

   ગુનો કબૂલ કર્યો એણે જન્મ લેવાનો,

   મિલિન્દ એ જ દિવસથી ફરાર, oh goodness!

- એક સજલ સાંજે સુગંધે મને કહ્યું,-

   મધુમાલતી તમને મળીને ઉદાસ છે.

- મને એ રીતે તું ફરી યાદ આવી,

‌ ભમરડાને જાણે ધરી યાદ આવી.

  ઉદાસીના બે પેગ અંદર ગયા તો,

  મરીઝની ઘણી શાયરી યાદ આવી.

- ઉદાસી સમયની મમીમાં ઢળી ગઈ,

   પ્રતિક્ષા અમારી પિરામિડ બની ગઈ.

  નિહાળીને બાળકનો ગંભીર ચહેરો,

  વયોવૃદ્ધ આંખો અમસ્તી હસી ગઈ.

- આમ ના જોયા કરો આકાશના તારા 'ગ.મિ.',

   આપને આ આપનું એકાંત મારી નાખશે.

- 'એ સાચું તકલીફો સાથે જૂનાગઢમાં જીવ્યો છું,

   એ પણ સાચું ગીતો સાથે જૂનાગઢમાં જીવ્યો છું.

- ધાર્યા કરતાં વ્હેલી થઈ ગઈ,

  જાત સદંતર મેલી થઈ ગઈ.

  મેં હસવાનું શીખી લીધું,

  દુનિયાને મુશ્કેલી થઈ ગઈ.

  ઘેટાં પાછળ ઘેટાં ચાલ્યાં,

  સમજણ સામે રેલી થઈ ગઈ.

  બે ફળિયા એ પ્રેમ કર્યો તો,

  વંડીમાંથી ડેલી થઈ ગઈ.

  દર્પણમાં એવું શું જોયું ?

  ઝમકુ ડોશી ઘેલી થઈ ગઈ.


અંતે મારી કાલીઘેલી તો સાંભળવી જ પડે.

કવિ:-કલમ લઉં હાથમાં ને શબ્દો સરી પડે,

હું:- કલમ લઉં હાથમાં ને શબ્દો ગોતવા પડે...

 ખી ખી ખી......


- મુકેલ બારીયા

      જુનાણું 

   તા.૧/૧/૨૦૨૩